જન્મથી ૪ (ચાર) અતિશય...
(1) ભગવાનનો દેહ વ્યાધિ,પરસેવો અને મેલ રહિત હોય છે.
(2) શ્વાસોશ્વાસ કમળના સમાન સુગંધીવાળો હોય છે.
(3) ભગવાનના શરીરમાં લોહી,માંસ ગાયના દૂધ જેવા સફેદ-ઉજ્વળ હોય છે.
(4) પ્રભુનો આહાર-નિહાર અવધિજ્ઞાની શિવાય કોઈ જોઈ શકે નહિ.
દેવધ્વારા કરાતાં ૧૯ (ઓગણીસ) અતિશય....
(1) પ્રભુ જ્યાંજ્યાં વિચરે ત્યાં ત્યાં આકાશ માં ધર્મચક્ર આગળ ચાલે છે.
(2) આકાશ માં બન્ને બાજુ શ્વેત ચામર ચાલે છે.
(3) આકાશમાં સ્ફટિકનું મણિમય સિંહાસન ચાલે છે.
(4) આકાશમાં ત્રણ છત્ર ભગવાન ના મસ્તક પર ચાલે છે.
(5) ભગવાનની આગળ આકાશમાં રત્નમય ઇન્દ્ર ધ્વજ ચાલે.
(6) ભગવાન જયારે ચાલે ત્યાં સુવર્ણ ના કોમળ નવ કમળો હોય છે, તે જયારે પ્રભુ ચાલે ત્યારે ક્રમસર પગ તળે આગળ આગળ આવતા રહે છે,તેથી પ્રભુ હમેશા નવ સુવર્ણ કમળ પર ચાલે છે.
(૭) પ્રભુને દેશના આપવા માટે દેવતાઓ ત્રણ ગઢ વાળા સમવસરણની રચના કરે છે, પહેલો ગઢ મણિનો, બીજો ગઢ સુવર્ણ નો અને ત્રીજો ગઢ રૂપાનો હોય છે.
(8) પ્રભુ જયારે સમવસરણમાં બેસે છે ત્યારે પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને છે, અને બાકીની ત્રણ દિશાઓ માં દેવો પ્રભુના પ્રતિબિંબ સ્થાપન કરે છે.
(9) પ્રભુ જ્યાં જ્યાં સ્થિરતા કરે ત્યાં સમવસરણની રચના કર્યા બાદ સૌથી ઉપરના ગઢની મધ્યમાં દેવતા અશોકવ્રુક્ષની રચના કરે છે,
(10) જ્યાં જ્યાં પ્રભુ વિચરે ત્યાં કાંટાઓ ઊંધા થઇ જાય.
(11) પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં રસ્તાઓના વ્રુક્ષ પણ પ્રભુ ને નમસ્કાર કરવાં નીચાં નમે.
(12) જ્યાં પ્રભુ વિચરે ત્યાં વાયુ પણ અનુકુળ,શીતલ અને સુગંધી થઈને વાય છે.
(13) જ્યાં પ્રભુ વિચરે ત્યાં મોર પોપટ વિગેરે પક્ષીઓ પણ પ્રદક્ષિણા આપે છે.
(14) પ્રભુ જ્યાં બિરાજે ત્યાં મેઘકુમાર દેવો ધૂળ શમાવવા સુગંધિત જળ ની વૃષ્ટિ કરે છે.
(15) સમવસરણની એક યોજન ભૂમિમાં દેવો છ ઋતુના સુગંધિત પંચવર્ણી પુષ્પોની જાનુ પ્રમાણે વૃષ્ટિ કરે છે.
(16) પ્રભુના દાઢી,મુછ,વાળ કે નખ ક્યારેય વધે નહિ.
(17) હંમેશને માટે જઘન્ય થી ભવનપતિ વિગેરે એક કરોડ દેવતા પરમાત્માની સેવામાં હાજર રહે છે.
(18) જિનેશ્વર પરમાત્મા જ્યાં વિચરે ત્યાં બધી ઋતુઓ અનુકુળ થઇ જાય છે.
(19) દેવો દેવદંદુભી નો નાદ કરે છે.
કેવલજ્ઞાન પ્રાપ્તિ પછીના અગિયાર અતિશય......
(1) ભગવાન નું સમવસરણ એક યોજનનું હોવા છતાં કરોડો દેવો મનુષ્યો વિગેરે સુખપૂર્વક બેસી શકે છે.
(2) પ્રભુની વાણી પાંત્રીશગુણ વાળી હોય છે,અર્ધ માગધી ભાષામાં પ્રભુ દેશના આપે છે, છતાં દેવતા-મનુષ્યો તીર્યંચ વિગેરે બધા પોતપોતાની ભાષામાં એક સરખી રીતે સાંભળી શકે છે.
(3) ભગવાનના મસ્તકની પાછળ અતિ તેજસ્વી ભામંડળ હોય છે.
(4) ભગવાન જ્યાં વિહાર કરે ત્યાં ૧૨૫ યોજન (૫૦૦ ગાઉ) સુધીમાં મારી મરકી વિગેરે રોગાદિ ઉપદ્રવ શાંત થઇ જાય છે,અને નવા ઉત્પન્ન થતાં નથી.
(5) ભગવાન જ્યાં હોય ત્યાં ૧૨૫ યોજન સુધીમાં કોઈપણ પ્રાણીને પરસ્પર વૈરવિરોધ ઉત્પન્ન થતો નથી.
(6) ૧૨૫ યોજન (૫૦૦ ગાઉ) સુધીમાં સાત પ્રકારની ઇતિ તથા ઉંદર,તીડ વગેરે જીવ ઉત્પન્ન થતાં નથી.
(7) ૧૨૫ યોજન પ્રમાણભૂમિમાં મરકી - અકાળ મૃત્યુ થતું નથી.
(8) ૧૨૫ યોજન પ્રમાણ ભૂમિમાં અતિવૃષ્ટિ થતી નથી.
(9) ૧૨૫ યોજન પ્રમાણ ભૂમિમાં અનાવૃષ્ટિ થતી નથી.
(10) એટલી ભૂમિમાં દુકાળ પડે નહિ.
(11) ભગવાન જ્યાં વિચરે ત્યાં ૧૨૫ યોજન સુધીમાં આંતરિક કે અન્ય રાજા આદિનો ભય રહેતો નથી.
Post a Comment
Note: only a member of this blog may post a comment.