વલભીપુર

Tuesday 22 January 20130 comments


ઉપક્રમ :- વલભીપુરએ જૈન ધર્મ, જૈન તીર્થ અને ગુર્જર રાષ્ટ્રના ઈતિહાસની દ્રષ્ટીએ ઐતિહાસિક ક્ષેત્ર છે. કાળચક્ર દરમિયાન આ નગરે ઘણી થપાટો ખાધેલી છે. પુરાતત્વવિદોને આ નગરમાં અને તેની આસપાસના પ્રદેશમાંથી મળેલા સેંકડો તામ્રપત્રો, દાનપત્રો તેમજ ઠેર ઠેર વેરાયેલા અવશેષો આ વાતની ગવાહી પૂરે છે.

એક સમય હતો જયારે વલભીપુરનો ડંકો વાગતો હતો. રાજા શિલાદિત્ય,ધ્રુવસેન, ધરસેન વગેરે ઈતિહાસ પ્રસિદ્ધ રાજાઓએ અને તેમના રાજવંશોએ આ નગરને પોતાના વિશાળ સામ્રાજ્યના પાટનગર તરીકે સ્થાપેલુ અને વિકસાવેલું. આ નગરની જાહોજલાલી અન્ય રાષ્ટ્ર તથા રાજાઓની આંખમાં કણાની જેમ ખૂંચતી રહી. આ કારણે વિધર્મી શાસકો અને શત્રુઓના આક્રમણો આ નગરને સહન કરવા પડ્યા છે. ચીનનો જગવિખ્યાત મુસાફર હ્યુ-એન ત્શાંગએ તેના પ્રવાસ વર્ણનમાં વલભીપુરની જાહોજલાલી વિષે નોંધ પણ કરી છે.

અતીત :- આ વલભીપુરમાં બૌદ્ધોએ જૈન આચાર્યોને હરાવીને મહાતીર્થ શેત્રુંજય પર પોતાનું આધિપત્ય જમાવેલું. અને આ વલભીપુરના જ સપુત જૈન મુનિવર શ્રી મલ્લવાદીએ ફરીથી બૌદ્ધોને હરાવી જૈન ધર્મનો વિજયધ્વજ ફરકાવેલો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના પ્રસિદ્ધ "સિદ્ધહેમ" વ્યાકરણ ગ્રંથમાં મહાન શ્રુતધર આચાર્ય ભગવંત શ્રી મલ્લવાદીગણિને સર્વશ્રેષ્ઠ તર્કપંડિત તરીકે નવાજ્યા છે.

વિક્રમના પાંચમાં સૈકામાં આ વલભીપુરના એક શ્રાવિકા બહેન દુર્લભદેવીના ભાઈએ દીક્ષા લીધેલી અને તેઓ જ્ઞાન અને ચરિત્રના બળે કાળક્રમે આચાર્યપદ પામીને જિનાનંદસૂરીના નામે પ્રસિદ્ધ થયા. આ સમય જૈન અને બૌદ્ધ ધર્મના સંઘર્ષનો હતો. આવા જ એક અવસરમાં શ્રી જિનાનંદસૂરીને રાજ સભામાં એક બૌદ્ધ આચાર્યે શાસ્ત્રાર્થ કરવાના પ્રસંગમાં હરાવ્યા હતા.

શ્રી જિનાનંદસૂરીને આ પરાજયનો કારમો આઘાત લાગ્યો હતો. શાસનની લઘુતામાં નિમિત્ત બનવાના કારણે તેમના ઉદ્વેગ અને દુ:ખનો કોઈ પાર ના હતો. એવામાં તેમના બહેન દુર્લભદેવી તેમના ત્રણ સંતાન સાથે આચાર્યશ્રીને મળવા આવ્યા. આચાર્યશ્રીએ પ્રેરણા કરી કે જો તે અને તેમના સંતાનો ચરિત્ર ધર્મ અંગીકાર કરે તો શાસનના મોટા આરાધક થાય તેમ છે. સદભાગ્યે આ નિષ્કામ ઉપદેશ સૌના ગાળામાં ઉતરી ગયો અને તે ચારેય પુણ્યાત્માઓએ દીક્ષા ગ્રહણ કરી અને કાળક્રમે તે ત્રણેય મુનિવરો આચાર્યપદ પામ્યા. તે ત્રણ પૈકી સૌથી મોટા આચાર્ય જિનયશ હતા, જેમણે 'પ્રમાણ શાસ્ત્ર' તથા 'વિશ્રાંતવિદ્યાધર' વ્યાકરણ પર ન્યાય-ટીકાની રચના કરી હતી. બીજા આચાર્ય યજ્ઞસૂરી હતા. જેમણે અષ્ટાંગ નિમિત્તની નિરૂપણ કરતો 'યજ્ઞ સંહિતા' ગ્રંથ રચેલો. સૌથી નાના આચાર્ય મલ્લવાદીએ 'દ્વાદશાર નયચક્ર' નામે ગ્રંથ ઉપરાંત 'સન્મતીતર્ક' ઉપર ટીકાની તથા 'પદ્મચરિત' નામે  ગ્રંથની રચના કરી હતી.

'નયચક્ર' ગ્રંથના રચયિતા શ્રી આચાર્ય મલ્લવાદીએ જે ઘટનાને અંતે આ ગ્રંથ રચ્યો તે ઘટના ખુબ રસપ્રદ છે. આચાર્ય શ્રી જિનાનંદસૂરી પાસે એક વિશિષ્ઠ ગ્રંથ-પોથી હતી, જેમાં 'પૂર્વ' ગત્ત શ્રુતના અંશો સચવાયા હતા. આ વિશિષ્ટ ગ્રંથ સકલ સંઘની અનમોલ થાપણ અને મિલકત હતી. તે કોઈ પણ અયોગ્ય આત્માને સોંપાય જ નહિ. એક પ્રસંગે કોઈ કાર્યવશ ગુરુ ભગવંતને વિહાર કરવાનો થયો ત્યારે આ ગ્રંથની સોંપણી મલ્લમુનિને કરતા સ્પષ્ટ સૂચના આપી કે "આ ગ્રંથ જીવની જેમ જાળવજો અને ભૂલથી કે કુતુહલથી પણ તે ઉઘડતા નહિ કે વાંચતા નહિ." હવે બન્યું એવું કે ઉઘડતી કળી જેવા મલ્લમુનિ બાળસુલભ કુતુહલતા વશ થઈને ગ્રંથ ખોલ્યો અને તેના પાઠનો પહેલો શ્લોક વાંચ્યો ન વાંચ્યો ત્યાં તો ગ્રંથ હાથમાંથી અલોપ થઇ ગયો. આમ તેમના હાથે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થયું તેથી તે ખુબ કલ્પાંત કરવા લાગ્યા અને તે વાત તેમણે તેમની માતાને કહી. તથા તેમણે માતાને જણાવ્યું કે આ ગ્રંથ મારી ભૂલ થી અલોપ થયો છે તેથી તે પાછો મેળવવાની જવાબદારી મારી જ ગણાય. હું આ ગ્રંથ મેળવવા માટે શ્રુતદેવીની આરાધના કરવા જાઉં છું. પછી મલ્લમુનિ એક પર્વતની ગુફામાં સરસ્વતી દેવીની આરાધના કરવા બેસી ગયા. આ સાધનામાં છઠ્ઠ ના પારણે છઠ્ઠ, જપ ધ્યાન અને પારણામાં લુખું ભોજન કર્યા. મહિનાઓના અંતે સરસ્વતી દેવી પણ સાધક મુનિની દ્રઢ નિષ્ઠા જોઈ દ્રવી ઉઠ્યા અને પ્રશ્નાવલી દ્વારા મુનિની પરિક્ષા લીધી, જેમાં મુનિ સફળ રહ્યા. દેવીએ પ્રગટ થઈને તત્કાલ વરદાન માંગવા કહ્યું. મુનિની તો એક જ ધૂન હતી. "ગ્રંથ પાછો આપો, બીજું કંઈ ના ખપે." દેવીએ ગ્રંથનો આગ્રહ ના કરવા ઘણું સમજાવ્યા અને તેના કારણમાં કહ્યું કે "જો એ હશે તો ઘણા અનર્થ થવાની સંભવાના રહેલ છે, છતાં પણ ગ્રંથનો જ આગ્રહ હોય તો તમે જે પહેલો શ્લોક વાંચ્યો છે તેનું વિવરણ બનાવજો. તમને નય વિદ્યાના તમામ અર્થ-રહસ્યો પ્રાપ્ત થશે. આ મારું વરદાન છે." તે પછી મુનીએ એ શ્લોક ઉપર અદભુત વિવેચન કર્યું અને તેનું નામ જ 'દ્વાદશાર નયચક્ર' શાસ્ત્ર રાખ્યું. નગરના રાજવીરોએ તે ગ્રંથને હાથી પર ચઢાવી નગર પ્રવેશ કરાવ્યો. ગુરુએ પણ પછી મુનિને આચાર્યપદે આરૂઢ કર્યા. આ પછી આચાર્ય મલ્લસૂરીએ જે બૌદ્ધ આચાર્યે ગુરુને હરાવેલા અને અપમાનિત કરેલા તેની સામે પુન:શાસ્ત્રાર્થનો પડકાર ફેંકયો. જેનો સ્વીકાર બૌદ્ધ આચાર્યે કર્યો પણ તે પરાજિત થયા. આમ જિનશાસનનો જય જયકાર વર્તાવ્યો.

વીર નિર્વાણની નવમી શતાબ્દીમાં બાર વર્ષના ઘોર દુકાળમાં વલ્લભીપુર પણ હોમાયું. જો કે દુકાળના અંત પછી સ્થિતિ થાળે પડતી ગઈ અને મથુરા અને વલ્લભીપૂરમાં જૈન આચાર્યોની એક સંગીની થઇ જેને 'વાચના' તરીકે ઓળખવામાં આવી. શ્રી વીર નિર્વાણ સંવત 830-840 ના ગાળામાં આચાર્ય નાગાર્જુનસૂરીએ દક્ષિણાપથના શ્રવણ સંઘના સંમેલનનું આયોજન વલભીપુરમાં કર્યું અને ચોથી આગમવાચના કરી સર્વસંમત આગમપાઠોનું સંકલન કર્યું. આ વાચનાના મહાન કાર્યમાં આચાર્ય મલ્લવાદીનો મહત્વનો ફાળો હતો. આમ મથુરા અને વલભીપુર - એમ બંને વાચનાઓમાં, સૂરીભગવંતોનું મિલન ના થવાને કારણે સંકલન સાધવાનું કાર્ય બાદમાં પડતું મુકાયેલું. આ કાર્ય વી.નિ.સં. 980માં યુગપ્રધાન આચાર્ય શ્રી દેવદ્ધિગણિની નિશ્રામાં 500 આચાર્ય ભગવંતો સહિત સકળ સંઘે મથુરાની અને વલભીની બંને વાચનાઓનું એકત્રિકરણ કરવાપૂર્વક આગમગ્રંથોને પુસ્તકરૂપે લખાવ્યા. આ ભગીરથ કાર્ય વલભીપુરમાં જ થયું.

વલભીપુરની નજીક આવેલા આનંદપુરમાં નગરીના રાજવી ધ્રુવસેનના પુત્રનું અકાળ મૃત્યુ થયું. રાજા આને લીધે શોકાતુર બન્યો. કોઈરીતે તેના મનનું સમાધાનના થયું. આવે પ્રસંગે બહુશ્રુત આચાર્ય ભગવંતે 'શ્રી કલ્પસુત્ર' નામનું પરમપવિત્ર ધર્મસૂત્ર રાજાને તથા સંઘને સંભળાવ્યું. પરિણામે રાજાના ચિત્તને ખુબ શાતા વળી અને તે ધર્માભિમુખ બન્યો. આ ઘટના પછી દરેક વર્ષે પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર સકળ સંઘને સંભળાવવાની પ્રણાલિકા શરૂ થઇ. જેનો લહાવો આજે પણ આખો સંઘ લૂંટે છે.

વર્તમાન :- સૌરાષ્ટ્રનું પાટનગર અને ગુજરાતનું નાક ગણાતા વલભીપુર ઉપર વિધર્મી શાસકો તથા સૈન્યોના આક્રમણને કારણે તેની પુરેપુરી પડતી થઇ. વલભીપુરનું નામ પણ અપભ્રંશ થતા 'વળા' થઇ ગયું. વળાના ઈતિહાસ તરફ દ્રષ્ટિ નાખતા જણાય છે કે વીસમી સદીમાં થયેલા શાસનરક્ષક મુનિભગવંતોમાં ત્રણ મહાપુરુષ મોખરે છે. (1) પંજાબ રત્ન પરમપુજ્ય ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રવિજયજી મહારાજ, (2) સંવેગી શિરોમણિ શાંત મૂર્તિ પરમપૂજ્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી ગણિવર અને (3) શાસન સમ્રાટ બાળ બ્રહ્મચારી આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ. આ ત્રણેય ગુરુભગવંતોએ વળા-વલભીપુર ઉપર ખુબ જ અમી દ્રષ્ટિ રાખી હતી અને નગરીનો પુન:ઉદ્ધાર થાય તે જોવાની તેમની તીવ્ર તમન્ના હતી અને તે માટે તેમણે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો હતો.

ઇતિહાસના ઉલ્લેખ મુજબ વલભીપુરમાં પરાપૂર્વથી આદિનાથ ભગવાનનું જિનાલય હતું. મંત્રીઓ શ્રી વસ્તુપાળ-તેજપાળ જયારે શેત્રુંજયતીર્થ સંઘ લઈને અહી આવ્યા હતા ત્યારે મંદિરની જિર્ણતા જોઈ તેનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. પણ કાળાંતરે જયારે વલભીપુરનો ધ્વંસ થયો ત્યારે આ શિખરબંધી જિનાલયનો પણ નાશ થયો હતો. તે પછીના સમયમાં સંઘ અને શ્રાવકોએ આદિનાથ દાદાની નાનકડી મૂર્તિ બિરાજમાન કરી નાનકડી દેરી જેવું દેરાસર બનાવ્યું. વી.સં. 1942માં ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે પ્રેરણા કરી તે સ્થાને મોટું શિખરબંધી જિનાલય, જે આજે ગામમાં છે તે બંધાવરાવ્યું. પૂજ્ય મહારાજજીની તીવ્ર ભાવના હતી કે વળામાં ભવ્ય દેરાસર હોવું જોઇએ અને અહી થયેલી વલભી-વાચનાની સ્મૃતી રૂપે શ્રી દેવદ્ધિગણિ સમેત 500 આચાર્યોની પર્ષદાનું ભવ્ય સ્મારક પણ બનાવવું જોઈએ. પરંતુ આ દેરાસર તૈયાર થાય અને તેની પ્રતિષ્ઠા કરવાની વેળા આવે તે પહેલા તો ગુરુદેવ શ્રી વૃદ્ધીચંદ્રજીનો કાળધર્મ થઇ ગયો. આથી તેઓના પટ્ટ શિષ્યો પૂજ્ય પં. ગંભીરવિજયજી તથા પૂજ્ય મુનિ નેમિવિજયજીએ તેઓની પ્રેરણાથી થતું આ કાર્યને અપનાવી લીધું. નવનિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય તો લીધો પણ પ્રભુજીની પ્રતિમા જે પ્રાચીન હોવી જોઈએ તેનો પ્રશ્ન ઉભો થયો. આ સમયે સંઘના પુણ્યપ્રતાપે અને  મહા પુરુષોના આશીર્વાદથી, પૂજ્ય મુનિ શ્રી હંસવિજયજી મહારાજ, કે જેઓ શ્રી વૃદ્ધિચંદ્રવિજયજી દાદાના જ નાના ગુરુભાઈ પૂજ્ય શ્રી વિજયાનંદસૂરી મહારાજના પ્રશીષ્ય હતા તેમના ધ્યાનમાં આ વાત આવી. તેમણે બુરાનપુરના સંઘને પ્રેરણા આપી અને સંઘે ઉદારતાપૂર્વક પોતાના ગામમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિન બિંબ વળા શ્રીસંઘને આપ્યું. તે બિંબને નૂતન જિનાલયમાં મૂળનાયક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. આ દેરાસના જ પરિસરમાં સ્વર્ગીય પૂજ્ય ગુરુભગવંતની ભાવનાને અનુસરીને અલ્પસ્વલ્પ અમલીકરણ રૂપે શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, શ્રી મલ્લવાદી ક્ષમાશ્રમણ, શેત્રુંજય મહાત્મ્યના પ્રણેતા શ્રી ધનેશ્વરસૂરી મહારાજ વિગેરેની પણ સ્થાપના કરવામાં આવી. આજે પણ આ દેરાસર વલભીપુરની મધ્યમાં બિરાજે છે.

આટલું કામ થયું છતાં વળા સંઘના મનમાં એક ખટકો તો રહી જ ગયો હતો કે પરાપૂર્વથી આપણા ગામમાં શ્રી આદિશ્વર દાદાનું જિનાલય હતું તે પણ હોવું જ જોઈએ અને થવું જ જોઈએ. તો જ આપણો ઈતિહાસ જીવંત રહે અને આ નગર ફરીથી વધુને વધુ આબાદ થાય. એક બાજુ સંઘના મનમાં ઉપરોક્ત વિચારણા ઘુંટાયા કરતી હતી તો બીજી બાજુ પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરી મહારાજના હૃદયમાં પોતાના ગુરુભગવંતોની દોરવણી અને પ્રેરણાથી તથા અંતરની ભાવના સતત ગુંજ્યા કરતી હતી કે વળામાં એક એવી રચના કરાવવી છે કે જેમાં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ અને તેમને વીંટળાયેલા 500
આચાર્ય ભગવંતોની પ્રતિમા હોય અને વાચના ચાલી રહી હોવાનો દેખાવ રચાય. તેમજ ક્ષમાશ્રમણની એક ભવ્ય મૂર્તિ હોય અને તેના પરિકરમાં 500 આચાર્યોની આકૃતિ કંડારવામાં આવી હોય.

સંવત 1960માં વળા જિનાલયની પ્રતિષ્ઠા થઇ ત્યારથી જ વળાના દરબારશ્રી વખતસિંહજી ગોહિલને સૂરીસમ્રાટ પ્રત્યે ખાસ આકર્ષણ અને આદરભાવ જાગ્યા હતા તે આજે ત્રણ પેઢી સુધી અકબંધ છે. વર્તમાન રાજવી શ્રી પ્રવીણસિંહજી તો પોતાને સૂરીસમ્રાટના શિષ્ય અને શ્રાવક તરીકે ઓળખાવે છે. આ અતૂટ સંબંધ અને સદભાવનાનો લાભ જૈન શાસનને મળે તે માટે સૂરીસમ્રાટે કમર કસી. સૌ પ્રથમ 'વળા'ના તોછડા નામને તિલાંજલિ અપાય અને ગૌરવવંતુ 'વલભીપુર'નામ ફરીથી સ્થપાય તે માટે ઠાકોર શ્રી વખતસિંહજીને રાજકીય અને કાનૂની પ્રયત્નો કરવા માટે પ્રેર્યા. અંગ્રેજ સલ્તનત સાથે એક દેશી રજ્વાડાએ આ કામ પાર પડવાનું હતું જે તેમણે ખુબ મહેનત, કુશાગ્ર બુદ્ધિથી અને કુનેહથી કર્યું. આ રીતે વલભીપુરને પોતાનું ગૌરવ પાછું અપાવવાનો આચાર્ય મહારાજનો પ્રથમ સંકલ્પ સિદ્ધ થયો.

આ પછી પોતાના પૂજ્ય ગુરુ ભગવંતની ભાવનાને મૂર્તસ્વરૂપ આપવાની દિશામાં ઉદ્યમ આરંભ્યો. સૌ પ્રથમ વલભીપુર સંઘના ભવ્ય ઉપાશ્રયને જોડાઈને આવેલી જગ્યા તથા મકાન શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી દ્વારા ખરીદાવ્યું અને તેમાં ઘટતા ફેરફારો કરાવીને તેને શ્રી 'વૃદ્ધિઉદય જ્ઞાનશાળા' તરીકે વિકસાવીને તેમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી. ત્યારબાદ તેઓએ શ્રાવકો દ્વારા નગરની બહાર કોઈ જમીનની તપાસ ચાલુ કરાવી. ઠાકોરજીને આ વાતની જાણ થતા તેઓએ સામે ચાલીને મહારાજશ્રીને પસંદગીની જગ્યા જણાવવા વિનંતી કરી. પૂજ્ય મહારાજ સાહેબને પૂર્વ દિશાએથી ગામના પ્રવેશના મુખ્ય ઝાંપાની સામેની વિશાળ જગ્યા અનુકૂળ જણાતા તે ઠાકોરશ્રી પાસેથી ખરીદી લેવા શ્રાવકોને ભલામણ કરી. ઠાકોરશ્રીને આ વાતની જાણ થતા તેમણે આ જગ્યા ભેટ સ્વરૂપે આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને વધુમાં સૂરિસમ્રાટને વિનંતી કરી કે "આપ જેટલી જગ્યામાં ફરો તેટલી જગ્યા આપના ચરણોમાં ભેટ ધરવાની ભાવના પૂરી કરો." સૂરિસમ્રાટ પગે ચાલીને વિશાળ જગ્યા પર ફર્યા અને નજરમાં વસે તેટલી જમીન લેવાનું નક્કી કર્યું પરંતુ સાથે ઠાકોરશ્રીને સમજાવ્યું કે જમીન/મિલ્કત ભેટ તરીકે ના લેવાય." વધુમાં ખુલાસો કરતા જણાવ્યું કે "તમારી ભાવના ઉંચી છે પરંતુ કાલે કેવા દેશ-કાળ બદલાય તેની કોઈને ખબર નથી, સો વર્ષે પણ કોઈ વંશજ કે વારસદારની મતિ ફરે તો મિલ્કતમાં ફેરફાર થઇ શકે માટે અગમચેતી રૂપે આપ ભલે નજીવી કીમત લો પણ જગ્યા વેચાણ દસ્તાવેજ કરીને અઘાટ વેચાણ આપો. પછી ઠાકોરશ્રીએ તદ્દન નજીવી કીમતે જમીન જિનદાસ ધર્મદાસની પેઢીને વેચાણ આપી.

આવો જ બીજો પ્રસંગ વી.સં. 2000માં વયોવૃદ્ધ સૂરીસમ્રાટ વલભીપુરમાં પધાર્યા અને પોતાના તથા સાધુઓના ઔષધોપચાર અંગે સ્થિરતા કરી. તે અરસામાં ઠાકોરશ્રીનો જન્મ દિવસ આવ્યો અને તે દિવસે  દરબાર ભરી પ્રજાવાત્સલ્યના કાર્યો અંગે જાહેરાત કરતા કરતા સૂરીસમ્રાટ પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને પૂર્વે આપેલી 13-14 હજાર વાર જગ્યાને અડીને રહેલી પાંચેક હજાર વાર જમીન જન્મદિનની ભેટ રૂપે અર્પણ કરવાની જાહેરાત કરી. જેનું નજીવી કિંમતનું વેચાણખત પેઢીના નામે કરાવ્યું.

આ જગ્યા ઉપર 'દેવગુરુ પ્રસાદ' બનાવવાનો સૂરીસમ્રાટનો ઉપદેશ થયો. તેના ઉપરના માળે આદિનાથ પરમાત્માનું જીનાલય થાય અને નીચે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની મુખ્યતાએ 500 આચાર્યોની 500 મૂર્તિઓની ભવ્ય અને દર્શનીય કાયમી રચના ગોઠવીને વલભી-વાચનાની ઐતિહાસિક ઘટનાને તાદૃશ્ય કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો. તદુપરાંત તે પર્ષદા તો રંગમંડપમાં બેસે પણ તેના ગર્ભગૃહમાં 500 આચાર્યો ધરાવતાં પરિકર યુક્ત દેવદ્ધિગણિની ભવ્ય મૂર્તિ તેમજ શ્રી મલ્લવાદીગણિ, શ્રી ધનેશ્વરસૂરી ઉપરાંત પરમગુરુ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિમાઓ ભરાવવાનું અને પધરાવવાનું નક્કી થયું.

આ અનુસાર મંદિર નિર્માણનો પ્રારંભ થયો પણ કાર્ય વેગ પકડે તે પહેલા જ સૂરીસમ્રાટ સંવત 2005માં કાળધર્મ પામી ગયા! આ ભવીતવ્યતાને પચાવીને તેઓના સમર્થ અને પરમ ગુરુભક્ત શિષ્યરત્નો- પૂજ્યશ્રી ઉદયસુરીજી મહારાજ સાહેબ તથા શ્રી નંદનસૂરીજી મહારાજ સાહેબની દોરવણી તથા પેઢીના ગુરુચરણસેવી શ્રાવકોએ આ કાર્યને સાંગોપાંગ પાર પાડ્યું. સંવત 2018-19ના વર્ષમાં ઉપરોક્ત પુજ્યોના હસ્તે જ તેની પ્રતિષ્ઠા કરાઈ.

આજે દેવગુરુ પ્રસાદનું ભવ્ય ચૈત્ય દિગદિગંતમાં વલભીપુરની કીર્તિપતાકા લહેરાવતું, અમદાવાદ-પાલીતાણા-ભાવનગરના રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર અડોલ ખડું છે અને ગિરિરાજની યાત્રાએ જનાર સકલ સંઘને અનેરી શાતા આપી રહ્યું છે.

આ છે વલભીપુરનો ઝળહળતો વર્તમાન!
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger